કુમકુમ મંદિર ખાતે વરૂથીની એકાદશીની ઉજવણી કરવામાં આવી.

By: nationgujarat
24 Apr, 2025

તા. ૨૪ ચૈત્ર વદ એકાદશીના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – મણિનગર ખાતે વરૂથીની એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું. એકાદશી નિમિત્તે ભગવાનને વિશિષ્ટ ફૂલોનાં શણગાર ધરાવવામાં આવ્યા હતા.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ વરૂથીની એકાદશી અંગે જણાવ્યું હતું કે, આ ચૈત્ર વદ એકાદશીને વરૂથીની એકાદશી કહેવાય છે. આ એકાદશી કરવાથી માણસ માત્રના ગમે તેવા પાપ નાશ પામી જાય છે. દરેક એકાદશી કરવાની આજ્ઞા શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથમાં કરેલી છે. તેથી આપણે અવશ્ય એકાદશી કરવી જ જોઈએ.

એકાદશીએ ઉપવાસ કરવો જોઈએ, ઉપવાસ ના થાય તો ફલાહાર કરવું જોઈએ, પરંતુ એકાદશીના દિવસે અનાજ તો ખાવું જ ના જોઈએ. એકાદશી કરવાથી અનેક બ્રાહ્મણો અને સંતોને જમાડવાનું ફળ પ્રાપ્ત થાય છે તેવો એકાદશી વ્રતનો મહિમા છે.


Related Posts

Load more